સર્વાંગાસન

શીર્ષાસનને આસનોનો રાજા કહેવામાં આવે છે તો સર્વાંગાસનને આસનોનો પ્રધાન કહેવામાં આવે છે. આપણા શરીરનાં બાહ્ય તેમ જ આંતરીક લગભગ બધાં જ અંગો પર આ આસનનો પ્રભાવ પડતો હોવાથી એને સર્વાંગાસન કહે છે. ગળા પાસે શરીરની એક બહુ જ અગત્યની ગ્રંથી થાઈરોઈડ આવેલી છે જે શરીરની તંદુરસ્તી જાળવવામાં મહત્ત્વની છે. સર્વાંગાસન યોગ્ય રીતે કરવામાં આવે તો તેનાથી થાઈરોઈડ ગ્રંથી પર સૌથી વધુ અસર થાય છે, આથી એ રીતે આ આસન શરીરનાં સર્વ અંગો પર અસર કરે છે, તેથી જ એને સર્વાંગાસન કહેવામાં આવે છે. થાઇરોઇડ ગ્રંથીના નીયમન માટે આ આસન આદર્શ ગણાય છે.

Anchor

આસન કરવાની રીત

ચત્તા સુઈને બંને હાથ બાજુ પર અને બંને પગ પુરેપુરા લંબાવેલા અને સાથે રાખો. બંને પગ સીધા સાથે જ રાખી જમીનથી ૩૦ અંશના ખુણા સુધી ઉંચા કરો, પછી ૬૦ અંશને ખુણે ઊંચકી ત્રણ-ચાર સેકન્ડ થોભો. પછી ૯૦ અંશને ખુણે બંને પગ રાખો. બંને હાથ કમર પર મુકી ટેકો આપીને ધડ અને પગ એક સીધી રેખામાં આવે ત્યાં સુધી શરીરને ઉઠાવો. આખા શરીરનું વજન ગરદનનો પાછલો ભાગ, બંને ખભાનો પાછલો ભાગ તથા ખભાથી કોણી સુધીના બંને હાથ પર વહેંચાઈ જશે. હવે બંને હાથ વડે પીઠ પર દબાણ કરી, દાઢીને ગળા પાસે છાતીમાં જે ત્રીકોણાકાર ખાડો, કંઠકુપ છે તેમાં દબાવો. આ રીતે દાઢીને દબાવી રાખવાની ક્રીયાને જાલંધર બંધ કહે છે.

 

આ આસન એકલું કરવાનું હોય ત્યારે વધુ સમય થઈ શકે પણ બીજાં આસનોની સાથે કરવામાં આવે તો વધુમાં વધુ સમય પાંચ-છ મિનિટ રાખવો. હું સામાન્ય રીતે આ આસન ૬ મીનીટ સુધી કરું છું. આ આસન શરુઆતમાં ત્રીસ સેકંડથી શરુ કરી ક્રમે-ક્રમે વધારતા જવું હીતાવહ છે. આસન છોડતી વખતે ઉલટો ક્રમ લેવો. બંને હાથ જમીન પર ટેકવી કમરને નીચે લાવી બંને પગ ક્રમશઃ પ્રથમ ૯૦°ના ખુણે, પછી ૬૦° અને ૩૦°ના ખુણે અટકીને જમીન પર લાવવા. એમાં ઉતાવળ કરવી નહીં, એટલે કે શરીરને ઝટકો લાગવો ન જોઈએ.

સર્વાંગાસન કર્યા પછી એનાથી વીપરીત એવું મત્સ્યાસન કરવું અગત્યનું છે.

Anchor

ફાયદા

શીર્ષાસનના લગભગ બધાજ લાભ આ આસનમાં પણ મળે જ છે. વળી જે લોકો શીર્ષાસન સીદ્ધ ન કરી શકે તેઓને પણ સર્વાંગાસન કરવામાં મુશ્કેલી ભાગ્યે જ પડે. ઉપરાંત પહેલાં કહ્યું છે તેમ એનાથી થાઈરોઈડ ગ્રંથી વધુ પ્રભાવીત થાય છે, જે લાભ શીર્ષાસન વડે નથી મેળવી શકાતો. આમ શીર્ષાસન ન કરી શકનારાઓએ સર્વાંગાસન નીયમીત કરવું જોઈએ.

શીર્ષાસનની જેમ આ આસનથી યાદશક્તી વધે છે. માનસીક શ્રમ કરનાર સર્વને માટે તથા ખાસ કરીને વીદ્યાર્થીઓ માટે આ આસન ઘણું જ ઉપકારક છે. આ આસનમાં ગરદન આગળ દબાણ આવતું હોવાથી ત્યાંના જ્ઞાનતંતુઓને લોહીનો વધુ પુરવઠો મળે છે, રુધીરાભીસરણને વધારે ગતીમાન કરે છે, આથી એ જ્ઞાનતંતુઓ સબળ બને છે.

આ આસન પાચન ક્રીયા શુદ્ધને કરે છે અને શરીરમાં રક્તની શુદ્ધી કરી રક્ત શોધકનું કામ પણ કરે છે. આ આસન ગળાની ગ્રંથીઓને અસર પહોંચાડીને વજન ઓછું કરવામાં મદદરુપ બને છે.

સર્વાંગાસનથી યકૃત અને બરોળના દોષો દૂર થાય છે. નીયમીત અભ્યાસથી જઠરાગ્ની પ્રદીપ્ત થાય છે અને સમગ્ર પાચનતંત્રની કાર્યક્ષમતા વધે છે. મુખ ઉપરના ખીલ અને ડાઘા દુર થઈ ચહેરો તેજસ્વી બને છે. મંદાગ્ની, અજીર્ણ, કબજીયાત, થાઈરોઈડનો અધુરો વીકાસ, શરૂઆતની અવસ્થાનું એપેન્ડીસાઈટીસ, સારણગાંઠ(હર્નીયા), અકાળે વૃદ્ધાવસ્થા, દમ, કફ, ચામડીનાં દર્દો, લોહીવીકાર, સ્ત્રીઓનાં દર્દો જેવાં કે માસીકની અનીયમીતતા, માસીકનો દુખાવો, કષ્ટાર્તવ, અત્યાર્તવ વગેરે દર્દો પર આ આસન લાભકર્તા છે.

આ આસનની બીજી પણ ઘણી આરોગ્યપ્રદ અસરો છે. તેથી આ આસન પણ શીર્ષાસનની જેમ યોગનું એક ઘણું મહત્વનું આસન છે.

Anchor

સાવધાની :

આસન દરમીયાન માથું જમીન પરથી ઉંચકવું નહીં.

આસન દરમીયાન પગ સીધા અને જોડાયેલા રાખવા.

ગરદનના મણકામાં દુખાવો હોય કે ગળામાં સોજો હોય તો આ આસન ન કરવું. થાઈરોઈડની વૃદ્ધીવાળાં, ખુબ જ નબળા હૃદયવાળાં તથા અતીશય મેદવાળાં લોકોએ આ આસન અનુભવીના માર્ગદર્શન વીના કરવું નહીં.

આગળ જણાવ્યું છે તેમ જેટલો સમય સર્વાંગાસન કર્યું હોય તેનાથી અડધો સમય શવાસન કરવું. ત્યાર બાદ મત્સ્યાસન કરવું.

ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.
સ્ત્રોત: ગાંડાભાઈ વલ્લભ બ્લોગ